આણંદ તાલુકાના વાસદ ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલથી એક સપ્તાહ માટેનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત લોકડાઉન દરમિયાન બપોરે ૧૨ વાગ્યા બાદ ગામના તમામ બજારો અને દુકાનો સદંતર બંધ રહેશે.
વાસદ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વાસદ ગ્રામ પંચાયત દ્વારા તા. ૨૨ સપ્ટેમ્બરથી તા. ૨૯ સપ્ટેમ્બર દરમિયાન બપોરે ૧૨ વાગ્યા બાદ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામના સરપંચ ધર્મીષ્ઠાબેન અલ્પેશભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે વધતા જતા કોરોના સંક્રમણને લઈને ગામના નાગરિકોની સુરક્ષા અને કોરોના સંક્રમણને અટકાવવા માટે આવતીકાલથી ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ગામમાં દરેક નાગરિકોએ ફરજીયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. તેમજ ફળિયામાં, ટાવર ચોકમાં, ભાથીજી જેવા જાહેર સ્થળોએ ટોળા વળી બેસી શકાશે નહી. તેમજ આવતીકાલે તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ગામમાં નાના મોટા વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા વેપાર બંધ રાખવાના રહેશે.
દરેક વેપારી તથા લારી ગલ્લાવાળાએ તેમજ હોટલ માલિકોએ આ લોકડાઉનનો સંપુર્ણપણે પાલન કરવાનું રહેશે. સવારે ૯ થી ૧૨ દરમિયાન દુકાનો ખુલ્લી રાખી શકાશે અને ત્યારબાદ તમામ દુકાનો બંધ રાખવાની રહેશે તેમ જણાવ્યું હતું.