ચરોતરની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું
સ્વામીશ્રી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ પ્રાપ્ત થતાં રૂબરૂ મુલાકાત લઇ શુભેચ્છાઓ પાઠવી, આશીર્વાદ મેળવતા સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી

આણંદ – બુધવાર :: ભકિત નિકેતન આશ્રમ, દંતાલીના સ્વામી શ્રી સચ્ચિદાનંદજીને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
ભારતના ૭૩મા પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિવસે ભારત સરકાર દ્વારા સ્વામી શ્રી સચ્ચિદાનંદજીને પદ્મ ભૂષણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડની જાહેરાત થતાં જ ગઇકાલે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ સ્વામીશ્રી સાથે દૂરભાષથી વાત કરી અભિનંદન પાઠવ્યા હતા.
સ્વામી સચ્ચિદાનંદજી આધુનિક અને ક્રાંતિકારી સંત છે. સ્વામીજીના સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે સમાજ જીવનમાં અનેરા પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમની પદ્મ ભૂષણ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સ્વામીશ્રીને આ એવોર્ડ મળતાં તેમને આણંદ જિલ્લાના ધાર્મિક-સામાજિક તેમજ વિવિધ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ દ્વારાઅભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આજે જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજયાણ દંતાલી ખાતેના સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના ભકિત નિકેતન આશ્રમ ખાતે પહોંચી ગયા હતા. જયાં તેઓની શુભેચ્છા મુલાકાત લઇ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વામી શ્રી સચ્ચિદાનંદજીનું અભિવાદન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ અને જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સહિત સર્વે અધિકારીઓએ જિલ્લાનું અને રાજય માટે આ ગૌરવની ક્ષણ અપાવવા બદલ જિલ્લાના પ્રજાજનો વતી પણ શુભેચ્છાઓ પાઠવી સ્વામી શ્રી સચ્ચિદાનંદજીના આરોગ્યની પૃચ્છા કરી હતી.
આ પ્રસંગે પેટલાદના મામલતદાર સહિત આશ્રમના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.