ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિત રાજ્યના ત્રણ મહાનગરોમાં શનિવાર અને રવિવાર દરમિયાન કર્ફ્યૂ જાહેર કર્યો હતો. જો કે, રાજ્યના ચાર મહાનગરોમાં 57 કલાકના કર્ફ્યૂ બાદ આજે સોમવારે વહેલી સવારથી આ ચાર મહાનગરો ફરી લોકોની અવર જવર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના ચારેય મહાનગરોમાં ફરી વહેલી સવારથી જ વિવિધ જગ્યાઓ પર સામાન્ય દિવસની જેમ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
અમદાવાદ શહેરમાં 57 કલાકના કર્ફ્યૂ પૂર્ણ થયા બાદ ફરી અમદાવાદના રસ્તા ઉપર લોકોની ભીડ જોવા મળી રહી છે. અમદાવાદનું જમાલપુર શાકમાર્કેટમાં લોકોને ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી અને વેચાણ કરવાની આવી રહ્યા છે. જો કે માર્કેટમાં મોટાભાગના ખરીદી કરવા આવનાર ગ્રાહક અને વેપારીઓના ચહેરા ઉપર માસ્ક જોવા મળ્યા ન હતા. લોકો દંડથી બચવા માટે માત્ર પહેરવા ખાતર માસ્ક પહેરતા હોય તેમ નાકના નીચેના ભાગમાં માસ્ક રાખે છે. હજુ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી. બીજી તરફ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થતો જોવા મળી રહ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહી અને લોકોમાં જાગૃતતા નહિ આવે તો શહેરમાં વધતા જતા કોરોનાના કેસ પર કાબુ મેળવવો મુશ્કેલ બની જશે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં 57 કલાકના કરફ્યૂ બાદ અમદાવાદ ધબકતું થયું છે. પરંતુ ચાની કીટલીઓ અને નાસ્તાની લારીઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. તેમજ હાલ પણ લોકોની બેદરકારી જોવા મળી રહી છે. જો હજી પણ લોકો બેદરકારી દાખવશે તો કેસમાં વધારો થશે તેમજ જે લોકો માસ્ક નહીં પહેરે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ સહિત 3 મહાનગરોમાં રાત્રી કરફ્યૂ યથાવત છે.