ભારતની આન-બાન અને શાન ગણાતું યુદ્ધ જહાજ INS વિરાટ હાલ વિવાદમાં ફસાયું છે. તારીખ 28 સપ્ટેમ્બરે અલંગ ખાતે આગમન સાથે થેંક્યું વિરાટ નામે કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્યારે ભારતીય નૌકાદળનું વિમાન વાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યુ છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રુપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી છે.
INS વિરાટ જહાજને રાષ્ટ્ર ગૌરવના નામે 38.54 કરોડમાં ખરીદ્યા પછી હવે આ ગ્રુપે તેને સો કરોડમાં વેચવા તૈયાર બતાવી છે. જોકે થેંક્યું વિરાટના કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ જાહેરમાં કહ્યું હતું કે, આ જહાજ 70 વર્ષ જૂનું હોય એક્સપર્ટના અભિપ્રાય મુજબ તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય નહીં અને જો ફેરવાય તો મોટો અકસ્માત થવાની સંભાવના છે.
હવે આ જહાજને મ્યુઝિયમમાં ફેરવવા માટે મુંબઈના એક મોટા જૂથે માંગણી કરી છે અને ગોવાના મુખ્યપ્રધાને પણ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માટે સહમતી દર્શાવી છે, હવે સવાલ એ ઉભો થાય છે કે જો મ્યુઝિયમ જ બનાવવાનું હોય તો આ જહાજને સસ્તામાં શા માટે વેચી દેવાયું અને હવે જેને વેચવામાં આવ્યું છે તે ગ્રુપ શા માટે તેને ઊંચા ભાવે વેચવા સહમત થયું એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
આ જહાજ શ્રીરામ ગ્રુપના મુકેશ પટેલે કહ્યુ હતુ કે, આમ તો સવા સો કરોડ મૂલ્ય છે, પણ હું 100 કરોડમાં આપવા તૈયાર છું. જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ છે.
ભાવનગર જહાજ ખરીદનાર મુકેશ પટેલનું કહેવું છે કે જો કોઈ ઉદ્યોગ ગૃહ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માંગે તો હું આ જહાજ 100 કરોડમાં આપી દેવા તૈયાર છું. મેં 38.50માં ખરીદ્યા બાદ મેં કસ્ટમ ડ્યુટી, જીએસટી તેમજ જહાજ ખરીદવા માટેની રકમ 3 માસ પહેલા ભરી છે તો તેનું વ્યાજ પણ આમાં ગણાવું જોઈએ. મેં એમ પણ કહ્યું કે, જો તમારે જોઇતું હોઈ તો ભારત સરકાર ની પરમિશન લઈ આવો તો હું રાષ્ટ્રભક્તિ માનુંને જહાજ આપી દેવા તૈયાર છું.