વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. તેઓના વિશે કહેવાય છે કે, તે જે પણ કામ કરતાં પહેલાં એક લક્ષ્ય નક્કી કરી દે છે. આર્થિક રીતે દેશની તસવીર બદલવા માટે તેઓએ લકીર ખેંચી છે. 2014માં જ્યારે તેઓ પહેલી વખત વડા પ્રધાન બન્યા ત્યારે તેઓએ સ્વચ્છ ભારત અને દરેક પરિવારને બેંકિંગ સિસ્ટમ જોડવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારે તે ફક્ત એક સપનું લાગતું હતું. પણ આજે તે સપનું સાકાર કરી બતાવ્યું છે. તો ન્યુ ઈન્ડિયાને બનાવવા માટે પીએમ મોદીએ પાંચ મોટાં સપનાં જોયા છે. જે સાકાર થતાં દેશની સૂરત બદલાઈ જશે તે નક્કી છે.
1. આત્મનિર્ભર ભારત
કોરોના સંકટથી આખું વિશ્વ આર્થિક રીતે ત્રસ્ત છે. આ રોગચાળાએ ભારતીય અર્થવ્યવસ્થાની કમર પણ તોડી નાખી છે. પરંતુ આ આપત્તિને અવસરમાં બદલવા માટે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મે 2020ના રોજ રાષ્ટ્રને સંબોધન કરતાં આત્મનિર્ભર ભારત અભિયાનનું સૂત્ર આપ્યું હતું. પીએમ મોદીનું એવું કહેવું છે કે કોરોના કટોકટી પછી નવું ભારત ઉભરી આવશે, જે આત્મનિર્ભર રહેશે. આ અભિયાન સુધી પહોંચવા માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજનો ઉપયોગ કરવામાં આવશે. જે દેશની જીડીપીના લગભગ 10 ટકા છે. વડા પ્રધાન મોદીના પ્રયત્નો કે ભારતને આગામી કેટલાક વર્ષોમાં ભારત પોતાની જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ માટે પોતાના પર નિર્ભર થઈ જાય.
2. 5 ટ્રિલિયન ઈકોનોમી
પીએમ મોદીએ વર્ષ 2024-25 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કોરોના સંકટે ભલે આ ધ્યેયને મુશ્કેલ બનાવી દીધો છે. પરંતુ હજી પણ પીએમ મોદી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અર્થતંત્રના આ લક્ષ્ય સુધી પહોંચવા માટે રસ્તામાં ઘણાં પડકારો છે. 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ વિચાર અચાનક તેમના મનમાં આવ્યો નથી. તે દેશની તાકાતની ઊંડાણપુર્વકની સમજ પર આધારિત છે. 130 કરોડ ભારતીયોના સપના સાથે સંકળાયેલ આ શપથ છે.
3. ખેડૂતોની આવક બમણી કરવી
કોરોના કટોકટીમાં પ્રતિબંધોને કારણે અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયું છે. પરંતુ સારા કૃષિ ઉત્પાદનથી સરકારે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિના વિકાસ માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે. પીએમ મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય રાખ્યો છે. હવે સરકારનું સમગ્ર ધ્યાન ખેડૂતોની આવક વધારવા માટેની યોજનાઓનો અમલ કરવા ઉપર છે. કોંગ્રેસની યુપીએ સરકાર દ્વારા 2009થી 2014 સુધી માત્ર 1 લાખ 21 હજાર 82 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે વડા પ્રધાન મોદીએ 2014-18ના વચ્ચે ફક્ત ચાર વર્ષમાં 2 લાખ 11 હજાર 694 કરોડ રૂપિયા આપ્યા હતા.
4. હર ઘર જલ યોજના
દેશમાં હજુ પણ લોકોને પીવાના પાણી માટે ઘણા કિલોમીટર ચાલીને જવું પડે છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે. સરકારે 2020-21ના બજેટમાં જલ જીવન મિશન અથવા હર ઘર જલ યોજનાની જાહેરાત કરી હતી. તેનો હેતુ દેશના તમામ ઘરોને પાઈપલાઈન દ્વારા શુધ્ધ પાણી પહોંચાડવાનો છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે 2024 સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ યોજના પર સરકાર 3.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. લોકોને ઘરે પીવાનું શુધ્ધ પાણી મળશે. અત્યારે માત્ર 50 ટકા ઘરોમાં પાઇપલાઇનમાંથી શુધ્ધ પાણીની આપૂર્તિ કરવામાં આવી રહી છે.
5. 2022 સુધીમાં બધાને ઘર
મોદી સરકારે વર્ષ 2022 સુધીમાં તમામ લોકોને ઘર આપવાનું વચન આપ્યું છે. નવેમ્બર 2016માં પીએમ હાઉસિંગ સ્કીમ (ગ્રામીણ) લોન્ચ કરવામાં આવી હતી. પીએમ આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત દરેક લાભાર્થીને કુલ રૂ 1.20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 60:40નો રેશિયો રહે છે. વર્ષ 2022 સુધીમાં સરકારે 2.95 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં પીએમ આવાસ યોજનાના લાભો લોકોને પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યા છે.