ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાતાં જ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ધરખમ ફેરફારો કરી રૂપાણી સમયના CMOના તમામ આઇએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે, જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોષીની CMOના નવા ACS(એડિશનલ ચીફ સેક્રેટરી), જ્યારે અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની CMOના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભરૂચના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એનએન દવેની પણ તાત્કાલિક અસરથી બદલી કરી CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રૂપાણી અને મંત્રીમંડળનાં રાજીનામાં બાદ સ્વર્ણિમ સંકુલમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. સીએમ ઓફિસમાં નિયુક્ત તેમજ મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યરત 36 જેટલા સચિવાલય કેડર, ગેસ કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા છે.
16મીએ મંત્રીમંડળના નવા સભ્યોની શપથવિધિ યોજાવાની હોવાથી નવા મંત્રીઓ પોતાના અંગત સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી તેમની રોજિંદી સરકારી કામગીરીમાં મદદરૂપ થવા માટે જીએડી દ્વારા 35 સેક્શન ઓફિસર અને 35 ડેપ્યુટી સેક્શન ઓફિસરોની યાદી તૈયાર કરવામાં આવી છે. મંત્રીઓ સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી આ અધિકારીઓ પીએ અને પીએસ તરીકે મંત્રીઓ સાથે ફરજ બજાવશે.